વિશ્વમાં સામાન્ય રીતે લોકો દેવી દેવતાઓના, સંતો મહંતોના, ગુરૂજનો કે માતા પિતાનું મંદિર બનાવ્યું હોય તેવા આપણે ઘણા દાખલા જોયા છે.
પરંતુ કોઈએ પોતાની પત્નીની યાદમાં મંદિર બનાવ્યું હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે.
ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ટોટાણા ગામમાં રહેતા એક વ્યક્તિએ પોતાની પત્નીની યાદમાં મંદિર બનાવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ટોટાણા ગામમાં રહેતા ગોવિંદભાઇ બજાણીયાએ પોતાની મૃત પત્નીની યાદમાં એક મંદિર બનાવ્યું છે.
ગોવિંદ ભાઈ બજાણીયા મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગોવિંદભાઈ તમની પત્ની સાથે સુખી જીવન જીવી રહ્યા હતા તેવા તેઓ પર એકાએક આભ ફાટ્યું હતું.
તેની પત્ની વર્ષાબેનનું બિમારીના કારણે 2019માં મૃત્યુ થઈ જતા પરિવાર વિખેરાઈ ગયો હતો.
કાંકરેજ ટોટાણા ગામમાં રહેતા ગોવિંદભાઇ બજાણીયાના વર્ષ 2009માં પત્ની વર્ષાબેન સાથે લગ્ન થયા હતા.
સમય વીતતા તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો.ગોવિંદભાઈ મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી સુખી જીવન જીવી રહ્યા હતા.
વર્ષ 2018માં એકાએક તેઓની પત્ની વર્ષા બેનની તબિયત વાલની બીમારીના કારણે કથળવા લાગી હતી.
અમદાવાદ સિવિલમાં વારંવાર સારવાર અર્થે લાવ્યા છતાં એક દિવસ તેમની પત્ની વર્ષાબેન કોમામાં સરી પડ્યા હતા.
લાંબી માંદગીના કારણે 2019માં તેની પત્નીનું અવસાન થતા તેમના પર આભ તૂટી પડ્યું હતું.
ગોવિંદભાઈના સમાજમાં ચાલી રહેલી પરંપરા મુજબ જો કોઈનું અવસાન થાય તો તેમને ભંડારવામાં(કબ્રમાં દાટવામાં) આવે છે.
પરંતુ તેમની પત્નીને તેઓએ ગુરુ માની હોવાથી તેમને સમાધિ આપવામાં આવી હતી.
સ્મશાનમાં સમાધી આપ્યા બાદ પોતાની પત્નીની યાદમાં ગોવિદભાઈ ત્યાં જ બેસી રહેતા હતા.
આમ કરતા ત્રણ વર્ષ વીતી ગયા હતા.પરિવારની હાલત કફોડી થતા, તેમના મિત્ર દિનેશભાઈ વાઘેલા દ્વારા તેમને સમજાવી આર્થિક મદદ કરી તેમના પત્નીનું મંદિર બનાવી આપ્યું હતું.
બાદમાં તેમના પરિવારનું દેખરેખ રાખવા ઘણી સમજાવટ બાદ તેઓના બીજા લગ્ન કરાવી આપ્યા હતા.
લગ્ન બાદ તેઓ બીજી પત્ની ભાવનાબેન અને બે બાળકો સાથે જીવન જીવી રહ્યા છે.
પરંતુ હજી પણ તેઓ પોતાની પહેલી પત્નીની યાદો ને સાચવી રાખી છે.
રોજ તેઓ તેમના પરિવાર સાથે પહેલી પત્નીના મંદિરે જઈ દીવાબત્તી કરી પોતાની સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરી ભાવવિભોર થઈ જાય છે.